વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં માતા અને બે યુવા વયની દીકરીઓએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવને પગલે બ્રહ્મસમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભાટિયા સોસાયટીમાં આજે એક પરિવારનાં ત્રણ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવમાં માતા અને બે પુત્રીઓએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અગિયારેક મહિના પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા તથા બે દીકરીઓ સેજલ ભરતભાઈ ખાંડેખા અને અંજલિ ભરતભાઈ ખાંડેખાએ ગળાફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું છે. માતા અને બે પુત્રીઓની સામુહિક આત્મહત્યાથી સમસ્ત બ્રહ્મસમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



