કોંગ્રેસનો આરોપ: નકલી ટોલનાકા કાંડના આરોપીઓને બચાવવા અઘિકારીઓના હવાતિયા

Advertisement
Advertisement

મોરબીના વાંકાનેરના વઘાસિયામાં અસલી સાથે નકલી ટોલનાકું પકડાયા પછી તપાસના નામે કોઈ જ પ્રગતિ ન થઈ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ આક્ષેપો કરી નકલી ટોલનાકા કાંડના આરોપીઓને બચાવવા અઘિકારીઓ હવાતિયા મારી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નકલી નકલીનો ખોફ છે, ત્યારે સરકારનો કોઇ ખોફ ન હોય તેવી સ્થિતિ હાલ ગુજરાતમાં ચાલી રહી છે. હાલમાં મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામ પાસે અસલી ટોલનાકાની સાથે નકલી ટોલ ઉઘરાવવાનું બે વર્ષથી ચાલી રહેલ હતુ અને આ ટોલ નાકાના સંચાલક તરીકે આરોપીઓમાં ભાજપના આગેવાનના નામ ખુલ્યા છે ત્યારે આ આરોપીઓનો બચાવ કરવા એક અઘિકારી જે પહેલા મોરબી પછી વાંકાનેર અને હાલ મોરબી ફરજ બજાવી રહેલા છે તે આ આરોપી ને બચાવવા તપાસ સમિતિના નામે નાટક કરી તમામ આરોપીને બચવા હવાતિયાં મારી રહ્યા હોવાની મોરબી જિલ્લાની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ખરેખર જો પ્રજામાં થતી ચર્ચા મુજબ વાત સત્ય હોય તો આ અઘિકારી કોણ તે અંગે તપાસ કરી જવાબદાર અઘિકારીની આ ટોલ નાકામાં મિલીભગત માની તેમની સામે પણ તપાસ કરવી જોઇએ. આવડા મોટા કૌભાંડમાં પ્રજાના લોક પ્રતિનિધિઓ શા માટે બોલતા નથી તે પણ એક મોટો સવાલ છે. શું નકલી ટોલનાકા કૌંભાંડના આરોપીઓને રાજનેતાઓના આશીર્વાદ છે ? સાથે જ તપાસ સમિતિના નાટક કરવા ને બદલે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરી છેલ્લા બે વર્ષથી ટોલનાકાની આવક ઊભી કરેલી છે તે આવક તેમની પાસેથી વસૂલ કરી સરકારમાં જમા કરાવી જોઈએ તો જ લોકોને આ સરકાર ઉપર વિશ્વાસ બેસશે નહીં. કૌભાંડમાં જવાબદાર લોકો સામે દબાણમાં આવ્યા વગર કડક કાર્યવાહી કરવા મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ રબારીએ અંતમા માંગ ઉઠાવી હતી.