મોરબીના ચાંચાપર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેમાં ગામના સરપંચના કહેવા મુજબ અગાઉ ચારેક પેકેજીંગના કારખાના અને સાતેક દુકાનને નિશાન બનાવી તેમજ ફાર્મ હાઉસના સિક્યુરિટીને માર માર્યા બાદ તસ્કરોએ ગતરાત્રે વધુ એક કેબિન તોડીને હાહાકાર મચાવ્યો છે. ચાંચાપર ગામના સરપંચ રમેશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં છેલ્લા છ મહિનાથી તસ્કરોનો તરખાટ ઉતરોતર વધી ગયો છે. અગાઉ સમયાંતરે ગામમાં આવેલ વિવિધ ચીજવસ્તુઓની સાતેક દુકાનોને નિશાન બનાવી તેમજ પેકેજીગના ચારેક કારખાનામાં તસ્કરોએ નાની મોટી ચોરીઓ કરી હતી. તેમજ તસ્કરોની હિંમત એટલી બધી વધતા અગાઉ ગામના સુંદરમ નામના ભવ્ય ફાર્મ હાઉસમાં ઘુસવા માટે પ્રતિકાર કરનાર ચોકીદારને માર મારી મોબાઈલ લૂંટી ગયા હતા .આથી ગામ રેઢુંપડ સમજીને ગતરાત્રે તસ્કરોએ ગામના બસ સ્ટેન્ડમાં આવેલી એક મોટી કેબિનને તોડી જંકફૂડના પડીકા, ગુટખા સહિતનો આશરે 4 હજાર જેટલા મુદામાલની ચોરી કરી હતી. તેથી તેઓએ ગામમાં પોલીસ યીગ્ય પેટ્રોલીગ કરે તેવી માંગ કરી છે.