સ્વકંઠે સ્તુતિ ધૂન અને ભજનાવલી ગાઈને આધ્યાત્મિક પ્રવૃત્તિનુ દિવેલ સિંચી ધાર્મિકતા જીવંત રાખવા પ્રયાસ.

જય ત્રિવેદી,ટંકારા.
ટંકારા શહેરની મધ્યે પ્રસિધ્ધ ગ્રામ દેવ લક્ષ્મીનારાયણ મંદિર આવેલુ છે. શહેરના ધાર્મિક વૃત્તિના યુવા મિત્રો નુ ગૃપ દરરોજ સંધ્યા આરતી વેળાએ પુજા આરતી વખતે ખાસ ઉપસ્થિત રહી ભગવાન ના ગુણગાન કરે છે. આરતી બાદ મંદિરે ભગવાન સન્મુખ થાળ ધરવાની પ્રણાલી પૂર્ણ કરી નિજ મંદિર પરીસરમા તબલા, મંજીરા અને સંગીત પેટી જેવા પ્રાચીન વાદ્યોના સહારે ધર્મ ને અનુરૂપ ધૂન ભજનો અને સ્તુતી સ્વ કંઠે ગાઈ ને ભગવાન ની અનોખી આરાધના કરવાની ધાર્મિક પ્રવૃતિ કરીને પ્રાચીન કાળથી સચવાયેલા ધર્મ શાસ્ત્રો અને હિંદુ સંસ્કૃતિ ને ધાર્મિક કાર્યો થકી પ્રજ્વલિત રાખવા યુવા વર્ગને ધર્મના માર્ગે વાળવા સરાહનીય પ્રયાસો કરે છે.
લોકવાયકા પ્રમાણે આજથી સાડા પાંચ સૈકા પૂર્વે ટંકારાના સુથાર મિસ્ત્રી પરીવારના મોભીને સ્વપ્ન મા આવીને ટંકારામા બિરાજમાન થવાનુ કહેણ આવતા નગર મધ્યે બિરાજમાન થયેલા ભગવાન લક્ષ્મીનારાયણ દેવ નુ સુપ્રસિધ્ધ મંદિર આવેલુ છે. જેને પગલે ટંકારા વાસીઓ ગ્રામ દેવ તરીકે પુજે છે અને નિત્ય સવાર સાંજ આસ્થાભેર સેવા આરાધના અર્ચના કરે છે. અહીંયા દરરોજ મંદિરે સંધ્યા આરતી વેળાએ શહેરના અનેક ધાર્મિક વૃત્તિના શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અને દર્શન નો લાભ લીધા બાદ સાંજ નુ વાળુ કરે છે. સંધ્યા આરતી વખતે નગરના યુવા મિત્રો ની ટીમ ખાસ પહોંચી જાય અને પુજા અર્ચના આરતી સહિતના દર્શન મા સ્વયં સેવક તરીકે મંદિરની સેવા પ્રવૃતિ મા જોડાઈ ને ધર્મ કાર્ય ની ધાર્મિક પ્રવૃતિ ને વેગ આપે છે. આરતી પૂર્ણ થયા બાદ ભગવાન સન્મુખ થાળ ધરવાની પ્રણાલી પૂર્ણ કરી શહેરના કૃણાલ કારાવડીયા, ભાર્ગવ આશર,માધવ સોલંકી,રાકેશ સાપરીયા, મન ભાલોડીયા, જીજ્ઞેશ પ્રજાપતિ,રવિ રંગપરીયા, જીત ફુલતરીયા, કિરીટભાઈ વડઘાસીયા, મુન્નાભાઈ વકાતર, દર્શિત ખોખાણી સહિતના યુવા મિત્રોની ટીમ ભગવાનની સન્મુખ નિજ મંદિર પરીસરમા બેસીને તબલા, મંજીરા અને સંગીત પેટી જેવા પ્રાચીન વાદ્યોની પોતાની મેળે વ્યવસ્થા કરી ધર્મ ને અનુરૂપ ધૂન ભજન કિર્તન અને સ્તુતી ની સ્વકંઠે રમઝટ બોલાવી સમગ્ર ધાર્મિક સ્થાન ને ભક્તિ ના રંગે રંગી દયે છે. અહીંયા દર્શનાર્થે આવનારા લોકો પણ યુવાનોની ધાર્મિક લાગણી અને ભક્તિ ની રંગત જોઈ ઘડીભર ધૂન ભજન મા જોડાઈ પરભવનુ ભાથુ બાંધવા જકડાઈ જાય એવી મહેંક પ્રસરાવે છે. વર્તમાન ઈ યુગ ના સમયમા મોટાભાગે યુવાધન વ્યસન ઉપરાંત મોબાઈલ ના વળગણ મા જકડાઈ ને પ્રાચીન સંસ્કાર અને સંસ્કૃતિ થી દુર થતા જોવા મળે છે. ત્યારે ગ્રામ દેવ મંદિરે નિત્ય સંધ્યા થી શયન સમય સુધી ના દરરોજ બે કલાક ધાર્મિક ગુણલા ગાઈ હિંદુ સંસ્કૃતિનુ દિવેલ પુરવાનુ કામ કરતા નગરના તરવરીયા યુવાનો ધર્મ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જીવંત રાખવા મથી રહ્યા છે. શહેરના તરૂણ યુવાન ટીમ ધર્મ ની ધાર કાયમ રાખવાના ઉત્કૃષ્ટ ભાવ સરાહનીય છે.


