મોરબીની રવાપર ચોકડીએ અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારવાના પ્રકરણમાં પોલીસે કુલ આઠ આરોપીની ધરપકડ કરી હતી જેમાં અગાઉ ચાર આરોપીને જામીન મળ્યા બાદ આજે વધુ બે આરોપીને મોરબી કોર્ટમાંથી રાહત મળી છે અને જામીન પર છુટકારો થવા પામ્યો છે
મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી ડી.ડી.રબારીની ધરપકડ બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થયા બાદ રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. તેમજ પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા, પ્રીત વડસોલા અને જેનિથ ઉર્ફે જેનીયો ભીમાણી એમ કુલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓ પૈકી ડી ડી રબારી બાદ ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમજ જેનિથ પણ જામીન પર છૂટી ગયો હતો ત્યારે જેલમાં બંધ પરીક્ષિત અને ઓમ પટેલ દ્વારા મોરબી કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી વકીલ મનીષ ઓઝા મારફત બંને આરોપીએ કરેલી અરજીને કોર્ટે માન્ય રાખતા બંને આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો છે. તો મારામારી પ્રકરણમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલ બે આરોપી હજુ પણ જેલમાં બંધ છે તો ફરિયાદી યુવાને કોર્ટમાં આરોપીઓને જામીન મળે તેની સામે વાંધો ના હોવાનું જણાવ્યું હતું તેમ પણ સુત્રો જણાવી રહ્યા છે જેથી મુખ્ય સહિતના બાકી બે આરોપીને જામીન મળી જશે તેવી માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે