મોરબી: નિવૃત્ત ગુરૂજનોનો અનોખો સેવાયજ્ઞ, સોસાયટીઓમાંથી રોટલા-રોટલીઓ એકત્ર કરી ગૌમાતાને કરી રહ્યાં છે અર્પણ

Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર નીવાસી રણછોડભાઈ ઓડિયા ઘણા વર્ષો ઈશ્વરનગર શાળામાં અને ત્યારબાદ 15 વર્ષ રંગપર શાળામાં શિક્ષક તરીકે સંનિષ્ઠ સેવા બજાવી સેવા નિવૃત થયા હતા. સતત પ્રવૃત્તિશીલ રહેતા રણછોડભાઈ ઓડિયા ખાલી સમયમાં કંઈક સેવાકાર્ય કરવાનો વિચાર આવતા પરિવારના લોકો સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે મારે ગૌમાતા માટે કંઈક કરવું છે. સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં અન્નનો બગાડ થતો હોય છે અને એઠવાડ બની જાય છે અને કોઈને કામ આવતો નથી. આ અન્ન એકત્ર કરવાનું રણછોડભાઈ ઓડિયાએ બીડું ઝડપ્યું હતું. જેમાં પરિવારજનોએ પણ સંમતિ આપી એટલે રણછોડભાઈએ ઓટો રીક્ષા ખરીદી અને પ્રભુકૃપા ટાઉનશીપ, સોમનાથ ટાઉનશીપ, ક્રાંતિજ્યોત ટાઉનશીપ, હરિગુણ સોસાયટી વગેરેમાં એપાર્ટમેન્ટ નીચે ડોલો મૂકી દીધી અને લોકોને જણાવ્યું કે વધેલું અન્ન આ ડોલમાં નાખજો હું દરરોજ આવીને લઈ જઈશ. બસ રણછોડભાઈનું સેવાકાર્ય શરૂ થયું ઓટોરીક્ષા ચલાવતા નહોતી આવડતી છતાં શીખી લીધી અને અમરનગર શાળામાં નિવૃત થયેલ સારસ્વત શિક્ષક મનસુખભાઈ ચારોલાનો સાથ મળ્યો, બને નિવૃત ગુરુજનો ગૌમાતા માટે રોટલી રોટલાનું સોરટિંગ કરી અખાદ્ય વસ્તુઓ દૂર કરી દરેક એપાર્ટમેન્ટ નીચેથી ડોલ એકત્ર કરી રિક્ષામાં ડોલ ગોઠવી નિરાધાર ગૌસવર્ધન ખાતે દરરોજ પોતાના હાથે નિરણ ઘાસચારાની સાથે ગાયોને ખવડાવે છે. 14 જાન્યુઆરી 2023થી શરૂ કરેલું આ સેવાકાર્ય સતત અવિરત ચાલુ છે. બંને ગુરુજનો પોતાના સ્વખર્ચે આ પુણ્યકાર્ય કરે છે રણછોડભાઈને માવા મસાલા ખાવાનું બંધાણ હતું એ ત્યજી દિધું અને એમાંથી બચેલ રૂપીયા રિક્ષાખર્ચમાં ઉપયોગ કરે છે.લોકો દાન આપીને છૂટી જતા હોય છે પણ મનસુખભાઈ ચારોલા અને રણછોડભાઈ ઓડિયા પોતાના જ દાનનો પોતાના જ સ્વહસ્તે સદ ઉપયોગ કરી રહ્યા છે. ધન્ય છે આ બને ગુરુજનોને..