મોરબીના પાનેલી ગામ નજીક સરકાર દ્વારા નવી જીઆઇડીસી બનાવવાની જાહેરત કરવામાં આવી છે. પાનેલી અને જાબુડિયા ગામે નવી જીઆઇડીસી સામે વિરોધ નોંધાવ્યો છે અને તેના માટે બંને ગ્રામ પંચાયતે રાજ્યના મહેસુલ મંત્રીને રજુઆત કરી પણ કરી છે. પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડિયલે રાજ્યના મહેસુલ મંત્રીને લેખિત રજુઆત કરી છે કે, મોરબી જિલ્લા વહીવટી તંત્રએ પાનેલી-જાંબુડિયા ગામને જાણ કર્યા વગર કે મંજૂરી વગર પાનેલી અને જાંબુડિયા વચ્ચે ખરાબામાં જમીન ફાળવી તે જમીનમાં હાલ નવી જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. અને જીઆઇડીસીના પ્રાદેશિક મેનેજરે આ બન્ને ગ્રામ પંચાયતની ઉપરવટ જઈને આગોતરો હુકમ કરી તમામ શરતોનું પાલન કર્યું નથી. જેમાં વોટર બોડીના નીતિ નિયમોનો સરેઆમ ઉલાળીયો કરવામાં આવેલ છે આટલું જ નહીં તળાવમાં આવતા વરસાદી પાણીના વોકળા અને વહેણ બંધ કરી દેવામાં આવેલ છે. વધુમાં સરપંચે જણાવ્યુ છે કે, અહિયાં જીઆઇડીસી માટે એક વર્ષ પહેલા સર્વે કરાયો હતો અને હાલમાં તંત્રએ આખે આખી જગ્યા લઈ લીધી છે અને જૂના નકશામાં રહેલા સિમ માર્ગ, મોરબીનો રોડ વાયા જાંબુડિયા રોડ અને ત્રણ ખાનગી સર્વે નંબર નવી માપણી સીટમાં દર્શાવ્યા જ નહીં ! અને ૧૯૯૩નું જૂનું ગામ તળ જીઆઇડીસીમાં લઇ લીધું છે? હાલમાં કારખાનાનું પ્રદૂષણ છે તેવામાં જો જીઆઇડીસી કાર્યરત કરવામાં આવશે તો આગામી દિવસોમાં પ્રદૂષણ હજુ વધશે તેવી દહેશત વ્યક્ત કરી છે જેથી બન્ને ગામના ૨૦૦૦૦ જેટલા લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેમ છે જેથી હાલમાં મહેસુલ મંત્રી સુધી આ મુદે રજૂઆત કરવામાં આવી છે