મોરબીમાં નીખીલ ધામેચા હત્યાકાંડને આઠ વર્ષનો સમય વિતી ચુક્યો છે. છતાં હજુ સુધી પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકી નથી. હત્યાકાંડના સમગ્ર રહસ્ય હજુ અકબંધ છે. અને જેની તપાસ સી.આઈ.ડી ક્રાઈમને સોપવામાં આવી છે. પરંતુ હજુ સુધી પરિણામ મળ્યું નથી. ત્યારે મૃતકના પિતા પરેશભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના પુત્ર નીખીલની હત્યાને આઠ વર્ષ પુર્ણ થયા છે અને હજુ સુધી પરિવારને ન્યાય મળ્યો નથી. પુત્ર નીખીલ તારીખ ૧૫-૧૨-૨૦૧૫ના રોજ ગુમ થયો હતો. જેનું શનાળા રોડ જીઆઈડીસી પાસે તપોવન સ્કૂલથી એકટીવા પાછળ બેસાડી એક ઇસમ અપહરણ કરી જતો જોવા મળ્યો હતો અને તારીખ ૧૭-૧૨-૨૦૧૫ના રોજ રામઘાટ પાસે કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. એકટીવામાં પાછળ બેસી નીખીલને લઇ જતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જે ઘટનાને આઠ વર્ષ વીત્યા છતાં પોલીસ હત્યારા સુધી પહોંચી સકી નથી. જે કેસ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા કેસ સી.આઇ.ડી.ક્રાઇમને સોપવામાં આવ્યો હતો. જેને પણ ૫ વર્ષનો સમય વીતી ગયો છે છતાં યોગ્ય તપાસ થઇ નથી. પુત્ર નિખિલની હત્યા કોણે કરી અને શા માટે કરી તે તમામ પ્રશ્નોના ઉત્તર મળ્યા નથી. બાળકની હત્યામાં કોઈ મોટા વ્યક્તિનો હાથ હોય એટલે ન્યાય મળવામાં વિલંબ થયો હોવાનું પણ જણાવ્યું છે. જે રજૂઆત કરી કેસની યોગ્ય તપાસ કરી પરિવારને ન્યાય અપાવવા માટે માંગ કરી છે.