મોરબીના લોકો કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે જાણીતા છે. લોકો માનવ જીવનને સફળ બનાવવા કંઈકને કંઈક સત્કાર્યો કરતા હોય છે. ત્યારે મોરબી જિલ્લાના નિવૃત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ચંદ્રકાન્ત સી.કાવર પોતાની પર્યાવરણ પ્રત્યેની સંવેદના માટે જાણીતા છે. તેઓ જ્યારે ફરજ પર હતા ત્યારે તેઓ પ્રાથમિક શાળાઓમાં જેટલા બાળ એટલા ઝાડનો આગ્રહ રાખી શાળાઓમાં વધુને વધુ ઝાડ વાવવા અને ઉછેરવા માટે શિક્ષકોને પ્રેરણા પુરી પાડતા હતા. અને કૃષ્ણ ભગવાનને ગમતું કદમનું વૃક્ષ શાળાના પરિસરમાં ઉગાડવા માટે આગ્રહ રાખતા હતા. જેના પરિણામે મોરબીની ઘણી બધી શાળાઓમાં આજે ઘટાટોપ વૃક્ષો જોવા મળે છે. આવા આ સી.સી.કાવર નિવૃત્ત થયા છતાં પર્યાવરણ પ્રત્યે શાળા પ્રત્યેનો લગાવ જળવાઈ રહ્યો છે. તેઓ હાલ પોતાના સ્વ હસ્તે ચકલીના માળા બનાવી, શાળાઓમાં પોતે જાતે જાય છે અને પોતાના હાથે શાળામાં ચકલીના માળા લગાવે છે. નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ મય જીવન જીવતા સી.સી.કાવરે કલ્યાણ વજેપર શાળા, ગૌશાળાની મુલાકાત લઈ લુપ્ત થતી ચકલીઓના રહેઠાણ માળા લગાવી ચકલીઓની વ્હારે આવવા બદલ શાળા પરિવાર દ્વારા સી.સી.કાવરનો આભાર પ્રકટ કરવામાં આવેલ છે.