મોરબીના ટંકારા તાલુકાના અમરાપર ગામે તારીખ 7-11-2023ના પશુપાલનનો વ્યવસાય કરતા જાકીરહુશેન આહમદભાઈ રતનીયાના વાડામાંથી રાત્રીના સમયે અજાણ્યા ઇસમો દ્વારા બે મોટા બકરા કિંમત રૂપિયા ૬૦૦૦, ૫ બકરીઓ કિંમત રૂપિયા ૧૫,૦૦૦ અને એક ઘેટી કિંમત રૂપિયા ૩૦૦૦ સહિત કુલ 8 પશુધન જેની કિંમત રૂપિયા ૨૪,૦૦૦ની તસ્કરી કરી કારમાં લઈ ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણ થતા જાકીર હુસેન સમગ્ર મામલે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન અમરેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પશુધનની તસ્કરી કરતી ગેંગ અંગે ચોક્કસ માહિતી મેળવી બકરાની ચોરી કરતી ગેંગના સભ્યોની ધરપકડ કરી હતી. જે આરોપીઓએ ટંકારાના અમરાપર ગામે થયેલી ચોરીની કબૂલાત આપી હતી. હાલ આ મામલે ટંકારા પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.